IPL-2022 માટે હાલ ખેલાડીઓનું ઓકશન ચાલી રહ્યું છે. જેમાં અનેક ખેલાડીઓને તેની બેઝ પ્રાઈઝ કરતા બે થી ત્રણ ગણી વધુ રકમે ફ્રેન્ચાઈઝીઓએ ખરીદ્યા હતા. ભાવનગરના ચેતન સાકરિયાને પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણ ગણી વધુ રકમ આપી દિલ્હી કેપિટલે ખરીદ્યો હતો. ચેતન સાકરિયાને 4.20 કરોડમાં ખરીદાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.નોંધનીય છે કે, 2021નું વર્ષ સાકરિયા માટે આઘાતજનક રહ્યું હતું. પહેલા ભાઈનું અને બાદમાં પિતાનું અવસાન થયું હતું.
આઇપીએલ હરાજી ઓકશન 2022 ચાલી રહી છે જેમાં આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા બોલી લગાવવા બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી, છેલ્લી બોલી આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ચેતન સાકરિયાને ખરીદ્યો છે. ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી.
ગોહિલવાડનો ગુજ્જુ ચેતન સાકરીયાએ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી લોકોના દિલ જીતી ચુક્યો છે, સારા પ્રદર્શનથી તે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી, ત્યારબાદ ગત વર્ષે તેની આઇપીએલ માં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને સતત બીજા વર્ષે આઇપીએલ ઓકશનમાં ગુજ્જુ ચેતનની બોલબાલા વધતા ભાવનગરમાં મેપાનગરમાં રહેતા તેના મામા ના ઘરે આનંદની લહેર છવાય હતી.
આઇપીએલ હરાજી 2022 માં ગુજરાતી ખેલાડીઓની બોલબાલા વધી છે ત્યારે આઇપીએલ મેગા ઓકશન 2022માં સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને લોટરી લાગી છે. આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ખરીદ્યો છે. ગત વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી રમ્યો હતો. 2021માં ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલે 1.20 કરોડમાં ખરીધો હતો. તેણે ગત સીઝનમાં 14 મેચમાં 14 વિકેટ લીધી હતી.
ભાવનગરના વરતેજ ગામનો ચેતન સાકરીયા અને હાલ તેણે આઇપીએલ માં શાનદાર પ્રદર્શન કરી ને ભારતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ ભારત-શ્રીલંકા સામે વનડે ટીમમાં પસંદ થઈ રમી ચુક્યો છે, આમ ભાવનગર માંથી ટિમ ઇન્ડિયામાં પસંદ થનારો બીજો ખેલાડી બન્યો છે, આ પેહલા ભાવનગરના અશોક પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી.
ચેતનના મામા કાળુભાઇ જાંબુચા એ જણાવ્યું હતું કે ચેતન સાકરિયાને આજે 2022માં રમાનાર આઈપીએલની ઓકશનમાં દિલ્હીની ટીમે 4.20 કરોડમાં ખરીદતા તેના પરિવારજનો અને કોળી સમાજમાં આનંદનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ચેતનના પિતાનું ગત વર્ષે કોરોનામાં મોત નીપજ્યું હતું, અને તેમના નાના ભાઈએ આપઘાત કરી લીધો હતો, આમ ચેતનના પરિવારમાં આભ તુટી પડ્યું હતું તેમ છતાં ચેતને હતાશ થયા બન્યા વગર ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી, આજે તેમને ફરી એક વખત આઈપીએલમાં તક મળતા ભાવનગરનું પણ ગૌરવ વધાર્યું છે.