યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધના પાંચમા દિવસે પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપીને દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. બધાને ડર છે કે રશિયા ક્યાંક પરમાણુ હુમલો કરી શકે છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે અમેરિકાના લોકોને પરમાણુ યુદ્ધથી ડરવાની જરૂર નથી. બાઇડેનનું આ નિવેદન એ પણ સંકેત આપે છે કે અમેરિકા પરમાણુ હુમલાનો જવાબ આપવાથી પાછળ નહીં હટે.
આપને જણાવી દઈએ કે દુનિયાએ છેલ્લી વખત 1945માં પરમાણુ યુદ્ધની તબાહી જોઈ હતી. 77 વર્ષ બાદ યૂક્રેન યુદ્ધનો આ ખતરો ફરી એકવાર પાછો ફર્યો છે, જે રોકવામાં જ વિશ્વની ભલાઇ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો રશિયાએ 30 કિલોટનના પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો તો 4 કિમીનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામશે. જ્યારે 1000 કિલોટન સુધીના બોમ્બ ફેંકવામાં આવે તો તેની અસર પણ 100 કિમી સુધી જોવા મળે છે. આ હુમલો હિરોશિમા અને નાગાસાકી કરતા પણ વધુ નુકસાન કરી શકે છે.
હિરોશિમા પર ફેંકાયેલો પરમાણુ બોમ્બ 15 કિલોટનનો હતો અને નાગાસાકી પર ફેંકાયેલો બોમ્બ 20 કિલોટનનો હતો. જેણે આખા શહેરને તબાહ કરી નાખ્યું. રશિયા એક જ શહેર પર હુમલો કરવા સક્ષમ અણુ બોમ્બનો પણ ઉપયોગ કરી શકે છે અને તેનાથી પણ વધુ નુકસાન કરતા મોટા બોમ્બનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આવા વિનાશથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે.
ખાલી વિસ્તારમાં પરમાણુ બોમ્બ ફેંકી શકે છે રશિયા
રશિયા પર નજર રાખનારા નિષ્ણાતો માને છે કે પુતિન યુક્રેન યુદ્ધમાં ડરાવવા માટે અણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જેમાં તે પરમાણુ બોમ્બનો ઉપયોગ પહેલા એવી જગ્યાએ કરવામાં આવશે કે 10 કિમી સુધીનો વિસ્તાર ખાલી થઈ જશે. આમ કરીને પુતિન દુનિયાને ડરાવી શકે છે અને નાટો દેશોને બતાવી શકે છે કે તેમનું આગામી લક્ષ્ય દુશ્મન દેશના શહેરો હોઈ શકે છે.
જો કે યુદ્ધની વચ્ચે રશિયાના મિત્ર બેલારૂસમાં રશિયા દ્વારા પરમાણુ હથિયારો તૈનાત કરવાના સમાચાર છે. હકીકતમાં નાટો દેશોના પ્રતિબંધોથી ગુસ્સે થયેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતાના પરમાણુ દળને એલર્ટ કરી દીધા છે. આ દરમિયાન રશિયાના પરમ મિત્ર બેલારૂસે પણ યુક્રેનને લઈને પશ્ચિમી દેશોને આંખો બતાવી છે અને ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે. બેલારુસના સરમુખત્યાર એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ રશિયાને પરમાણુ બોમ્બ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
એટલું જ નહીં બેલારુસે કથિત રીતે રશિયાને પોતાના દેશમાં પરમાણુ બોમ્બ મૂકવાની મંજૂરી આપી છે. એટલે કે બેલારુસ હવે પોતાની સરહદની અંદર પરમાણુ હથિયારો રાખવા જઈ રહ્યું છે. જેના માટે બંધારણીય સુધારા માટે કથિત રીતે જનમત પણ લેવામાં આવ્યો છે. જે બાદ રશિયા પોતાના પાડોશી દેશનો ઉપયોગ પરમાણુ મિસાઈલ લોન્ચ કરવા માટે કરી શકે છે.