ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક થઈ ગયા છે. આયશાએ આ અંગેની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટની મદદથી આપી છે. 2012માં ધવન અને આયશા લગ્ન બંધનમાં બંધાયા હતા અને 2014માં આ જોડીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. જો કે આ મુદ્દે ધવનનું હજુ સુધી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા. એટલું જ નહીં આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધા હતા.
આયશાએ છૂટાછેડાનો અનુભવ લખ્યો
પશ્ચિમ બંગાળની આયશાએ તલાક અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "એક વખત તલાક થઈ ચુક્યા છે અને લાગી રહ્યું હતું કે બીજી વખત ઘણું બધું દાંવ પર લાગેલું હતું. મારે ઘણું બધું પુરવાર કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો તે વાત ઘણી જ ડરાવનારી હતી. મેં વિચાર્યું હતું કે તલાક એક ખરાબ શબ્દ છે તેમ છતાં મારા બે વખત તલાક થઈ ગયા. સૌથી સારી વાત એ છે કે શબ્દોના કેટલાં શક્તિશાળી અર્થ અને સંબંધ હોય છે. મેં છૂટાછેડા લઈને આ અનુભવ કર્યો. પહેલી વખત જ્યારે મારા તલાક થયા ત્યારે હું ઘણી જ ડરી ગઈ હતી. મને લાગતું હતું કે હું નિષ્ફળ થઈ ગઈ છું અને તે સમયે હું ઘણી ભૂલો કરતી હતી. મને લાગ્યું કે જાણે મેં બધાને નીચા જોવાપણું કર્યું છે અને સ્વાર્થી છું તેવું પણ લાગ્યું. મને લાગતું હતું કે હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારા બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલીક હદે તો મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. તલાક ઘણો જ ખરાબ શબ્દ હતો."
View this post on Instagram
2020માં બંનેના સંબંધ વણસ્યા હતા
વર્ષ 2020થી બંનેના સંબંધો સારા નથી ચાલી રહ્યાં તેવા સમાચારો સામે આવ્યા હતા. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા હતા. સાથે જ આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શિખરની તસવીરો હટાવી દીધી હતી. જો કે ધવનના એકાઉન્ટ પર આયશાની તસવીર હતી.
શિખર ધવનથી 10 વર્ષ મોટી આય���ાને પહેલાં પતિથી બે દીકરી છે
શિખર ધવન સાથે લગ્ન થયા તે પહેલાં આયશા ડિવોર્સી હતી. તેને પહેલા પતિથી બે પુત્રીઓ છે. પહેલા પતિથી તલાક લીધા બાદ શિખર ધવન સાથે તેના લગ્ન થયા હતા. ધવન અને આયશા એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયાન માધ્યમથી લાંબા સમય સુધી બંને એકબીજા સાથે જોડાયેલા રહ્યાં. આયશા ઉંમરમાં શિખર ધવનથી 10 વર્ષ મોટી છે. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ જોરાવર છે.
આયશા સાથે લગ્ન બાદ એક વ્યક્તિ અને ક્રિકેટર તરીકે બદલાવ આવ્યો હતોઃ શિખર ધવન
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને જ્યારે પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણાં લોકોએ આ સંબંધ અંગે ચર્ચા કરી હતી. જો કે ધવનના પરિવારે તેનો સાથ આપ્યો હતો. ધવને અનેક વખત આ અંગે વાત કરી છે કે આયશા સાથે લગ્ન પછી તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. તે અનેક વખત કહી ચુક્યો છે કે આયશાને મળ્યા બાદ તે એક વ્યક્તિ અને એક ક્રિકેટર તરીકે કેવી રીતે અને ઘણો બદલાયો છે.