કોંગ્રેસ આજે ખૂબ જ નારાજ અને મૂંઝવણ અનુભવી રહી હતી. કોંગ્રેસના નેતાઓએ તે મુદ્દા તરફ ધ્યાન દોર્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતી પ્રસંગે સંસદના મધ્યસ્થ ખંડમાં યોજાયેલા પરંપરાગત પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોઇ વરિષ્ઠ પ્રધાન હાજર નહોતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ પણ કાર્યક્રમમાં ગેરહાજર હતા.
14મી નવેમ્બરે દેશના પ્રથમ વડા પ્રધાનની જન્મજયંતી છે. દર વર્ષે સંસદના કેન્દ્રીય કક્ષમાં જવાહરલાલ નહેરુના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવા કાર્યક્રમ યોજાય છે. રાજ્યસભામાં કોંગ્રેસનું નેતૃત્વ સંભાળી રહેલા જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘સંસદના કેન્દ્રીય કક્ષમાં પરંપરાગત પુષ્પાંજલિ કાર્યક્રમમાં નવા જ દૃશ્યો સર્જાયા હતા. લોકસભાના સ્પીકર ગેરહાજર હતા. રાજ્યસભાના અધ્યક્ષ ગેરહાજર હતા. એક પણ વરિષ્ઠ પ્રધાન હાજર નહોતા. આના કરતાં વધુ ભદ્દી વાત કઇ હોઇ શકે.’
સંસદના મધ્યસ્થ ખંડમાં આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન ભાનુપ્રતાપસિંહ વર્મા, રાજ્યસભાના વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વડા સોનિયા ગાંધી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
સંસદ ઉપરાંત શાંતિવન ખાતે પણ અંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સહિતના અગ્રણીઓએ શાંતિવન ખાતે જવાહરલાલ નહેરુને અંજલિ આપી હતી.
વડા પ્રધાન, ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટર પર અંજલિ આપી
વડા પ્રધાન મોદીએ નહેરુને ટ્વિટર પર અંજલિ આપતાં જણાવ્યું હતું કે, ‘દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને અંજલિ.’ ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું હતું કે આધુનિક ભારતના નિર્માતા તરીકે દેશ તેમને હંમેશાં યાદ કરશે.
રાહુલ ગાંધીએ નહેરુની પ્રતિબદ્ધતાની યાદ અપાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની બાળકો સાથેની એક તસવીર શેર કરીને સત્ય, એકતા અને શાંતિ પ્રતિની પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિબદ્ધતાની યાદ અપાવી હતી.
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રેઇને પણ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘મને આ ઘટનાથી કોઇ આૃર્ય નથી થતું. આ પ્રકારનાં વલણો ભારતની સંસદ સહિતની મહાન સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે.’