કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની બુક 'Sunrise over Ayodhya' પર વિવાદ થયો છે. ખુર્શીદે આ બુકમાં હિન્દુત્વની સરખામણી આતંકી સંગઠન ISIS અને બોકો હરમ સાથે કરી છે. ખુર્શીદની આ બુક બુધવારે લોન્ચ થઈ છે અને 24 કલાકની અંદર જ તેની વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં વિવેક ગર્ગ નામના વકીલે દિલ્હી પોલીસ કમિશ્નરને કેસ નોંધવાની અપીલ કરી છે. ખુર્શીદ પર આરોપ છે કે તેણે હિન્દુઓને બદનામ કરવાની કોશિશ કરી છે.
ખુર્શીદે લખ્યું છે કે હિન્દુત્વ સાધુ-સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવા જેહાદી ઈસ્લામી સંગઠન જેવું છે. તેના તર્કમાં ખુર્શીદે કહ્યું છે કે હિન્દુ ધર્મ ખૂબ જ ઉચ્ચસ્તરનો ધર્મ છે. તેના માટે ગાંધીજીએ જે પ્રેરણા આપી તેનાથી વધુ કોઈ પ્રેરણા ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા, BJP પર કટાક્ષ
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા અને પોતાની બુકને લઈને સલમાન ખુર્શીદે કહ્યું છે કે અયોધ્યા વિવાદને લઈને સમાજમાં ભાગલા જેવી સ્થિતિ હતી. સુપ્રીમ કોર્ટે તેનુ સમાધાન શોધી કાઢ્યું. આ એક એવો ચુકાદો છે, જેનાથી એવું ન લાગે કે અમે હાર્યા અને તમે જીત્યા. BJP તરફ ઈશારો કરતા ખુર્શીદે કહ્યું કે એવી કોઈ જાહેરાત તો થઈ નથી કે અમે જીતી ગયા, જોકે ક્યારેક ક્યારેક એવા સંકેત આપવામાં આવે છે. બધાને જોડવાની કોશિશ થવી જોઈએ. હાલ અયોધ્યાના ઉત્સવમાં એવું લાગે છે કે આ એક પાર્ટીનો ઉત્સવ છે.
સલમાન ખુર્શીદે બુકમાં લખ્યું છે કે એ વાત તો નક્કી જ છે કે હિન્દુત્વને સમર્થન કરનારાઓ તેને ઈતિહાસમાં પોતાના ગૌરવને માન્યતા મળવાની રીતે જોશે. ન્યાયના સંદર્ભ સહિત જીવન ઘણી ખામીઓથી ભરેલું છે, જોકે આપણે આગળ વધવા માટે તેની સાથે સમાધાન કરવાની જરૂરિયાત છે. આ બુક એક વિવેકપૂર્ણ ચુકાદામાં આશાને જોવાની કોશિશ છે, ભલે પછી કેટલાક લોકોને એમ લાગે કે આ ચુકાદો સંપૂર્ણ રીતે ઉચિત નહોતો. બુક વિશે વાત કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે સમાજમાં એકતા આવશે તો માનીશ કે બુક લખવાનો ચુકાદો સફળ રહ્યો.
દેશમાં હિન્દુત્વવાદી રાજકારણની અસર પર ચર્ચા કરતા ખુર્શીદે લખ્યું કે મારી પાર્ટી કોંગ્રેસમાં ચર્ચા મોટાભાગે આ મુદ્દા પર જ જતી રહે છે. કોંગ્રેસમાં એક એવો વર્ગ છે, જેને એ વાત પર પસ્તાવો છે કે આપણી છબી માઈનોરિટી સમર્થક પાર્ટીની છે. તેમણે અયોધ્યા પર આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતા એ જાહેરાત કરી દીધી કે હવે આ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવું જોઈએ. આ વલણે કોર્ટના એ આદેશના એ ભાગની અવગણના કરી જેમાં મસ્જિદ માટે જમીન માટે આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
BJPનો ખુર્શીદને સવાલ- મનમાં આટલું ઝેર શાં માટે?
BJP નેતા કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખુર્શીદ પર નિશાન સાધ્યું છે. તેમણે સીધો જ ખુર્શીદને સવાલ કરતા કહ્યું છે કે હિન્દુ મેજોરિટીવાળા દેશમાં આટલુ સન્માન મળવા છતાં મનમાં આટલું ઝેર શાં માટે? શું તમે પણ એ વાત સાબિત કરવા માંગો છો કે તમે પણ હમિદ અંસારી છો. ભારત આજે સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવું નથી થયું તે એટલા માટે કે અહીં હિન્દુઓની બહુમતી છે.