મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે વાર્ષિક દશેરાની રેલીમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિવસૈનિકોને સંબોધન કરતાં ઠાકરેએ કહ્યું હતું કે ભાજપ માટે સત્તાની ભૂખ નશાના વ્યસન જેવી છે. હિંદુત્વને બહારના લોકોથી નહીં, પરંતુ નવા હિન્દુત્વવાદીઓથી જોખમ છે. એ ઉપરાંત તે લોકોથી, જેઓ સત્તા મેળવવા માટે હિન્દુત્વ વિચારધારાનો ઉપયોગ કરે છે. આગામી સમયમાં તેઓ વહેંચો અને રાજ કરોની નીતિ અપનાવશે.
ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપે હુમલો કરવો હોય તો સામેથી કરવો જોઈએ. ભાજપ મહારાષ્ટ્ર સાથે નકારવામાં આવેલા પ્રેમી જેવો વ્યવહાર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર અને બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છો. આ મર્દાનગી નથી, આ અમાનવીય વર્તન છે. ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ અમે એવું થવા નહીં દઈએ.
ચપટી ગાંજો સૂંઘતા સેલિબ્રિટીને પકડીને ઢંઢેરો પીટે છે
ઉદ્ધવ ઠાકરેએ એનસીબી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આખી દુનિયામાંથી જાણે મારા મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો ધમધોકાર વેપાર ચાલતો હોય એવું બતાવવામાં આવી રહ્યું છે. હું તમને ફરી કહું છું કે આપણી સંસ્કૃતિ છે કે આપણે આંગણામાં તુલસી લગાવીએ છીએ, પરંતુ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે જાણે આપણે આંગણામાં ગાંજાના છોડ લગાવીએ છીએ. આવું જાણીજોઈને કેમ કરવામાં આવી રહ્યું છે? એવું નથી કે માત્ર મહારાષ્ટ્રમાં આવું થાય છે. બધા જાણે છે કે મુંદ્રા એરપોર્ટ પર પણ કરોડોનું ડ્રેગ્સ મળ્યું છે. ક્યાં છે મુંદ્રા? ગુજરાત...સાચું ને? એવું નથી કે અમારી પોલીસ કશું નથી કરતી. ઠાકરેએ એવું કહ્યું હતું કે તમે અહીં ચપટી ગાંજો સૂંઘનારને માફિયા કહો છો? કોઈ એક સેલિબ્રિટીને પકડો છો, ફોટા પાડો છો અને પછી આખા ગામમાં ઢોલ વગાડો છો. અમારી પોલીસે 150 કરોડનું ડ્રગ્સ હમણાં જ જપ્ત કર્યું છે. તમે ચપટી ગાંજો સૂંઘતા રહો, અમારી પોલીસ કામ કરતી રહેશે, પરંતુ સમાચારમાં માત્ર એટલું જ આવે છે કે જામીન મળ્યા કે નહીં?
PM મોદી પર કર્યા પ્રહાર
મુખ્યમંત્રી ઉદ્ધવે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે હું ફકીર નથી કે થેલો ઉપાડીને ચાલતો થઈ જઉં. પહેલાં મને ઊંઘ નહોતી આવતી, દરવાજા પર ખટખટ થતું તો રુવાંટાં ઊભાં થઈ જતાં, પછી હું બીજેપીમાં જતો રહ્યો, હવે હું કુંભકરણની જેમ ઊંઘું છું.
ED, CBIને વચ્ચે ના લાવો, સીધા લડો
ઉદ્ધવે કહ્યું હતું કે પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવનાર બીજેપી કેમ બીજા પક્ષના નેતાઓને તેમની પાર્ટીમાં સામેલ ��રે છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે પડકાર આપ્યો છે કે તમારે લડવું હોય તો સીધા સામે આવો. એમાં ED, CBI જેવી સંસ્થાઓને વચ્ચે લાવવાની જરૂર નથી.
સંઘ પર પણ ઉદ્ધવે પ્રહાર કર્યા
CM ઉદ્ધવ ઠાકરેએ નાગપુરમાં સંઘ-પ્રમુખ મોહન ભાગવત સામે પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોહન ભાગવતે કહ્યું હતું કે આપણા પૂર્વજ એક છે. તો પછી લખીમપુર ખીરીમાં ધરણાં પ્રદર્શન કરતા ખેડૂતોના પૂર્વજો કોણ છે? શું તેઓ બીજા ગ્રહ પરથી આવ્યા છે? જો બધાના પૂર્વજ એક જ છે તો પછી વિપક્ષના પૂર્વજો આમાં સામેલ નથી, ખેડૂતોના પૂર્વજો નથી, જેના પર ગાડી ચડાવવામાં આવી તેમના નથી?
ના ગાંધીને સમજી શક્યા, ના સાવરકરને- ઠાકરે
તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ ના તો સાવરકરને સમજી શકી, ના મહાત્મા ગાંધીને. તેમને પોતાની હિન્દુત્વની વિચારધારાનું અભિમાન છે, પરંતુ મુખ્યમંત્રી તરીકે તેઓ દરેક નાગરિકો માટે સમાનભાવ રાખે છે. ઠાકરેએ આગળ કહ્યું હતું કે શિવસેનાએ આવા વિચારોથી બચવું જોઈએ અને મરાઠી તથા હિન્દુ એકતા માટે કામ કરવું જોઈએ. અમે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હોવાથી મહારાષ્ટ્ર અને શિવસેનાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.