ઓમ લકુલીશ વિદ્યા સંકુલ, રાજુલા.
આજે જ્યારે ભૂતકાળના લેખાજોખા લઈને બેઠો છું. ત્યારે બે નામ મને યાદ આવે છે. નિકુંજ સાહેબ અને પીન્ટુ સાહેબ. મને મદદરૂપ થનારા વ્યક્તિઓની યાદી બનાવવાની હોય તો આ બે નામ તેમાં જરૂર હોય. જોકે આજ સુધી હું તેમનો માનવો જોઈએ એટલો આભાર માની શક્યો નથી.
વાત મારા લગ્ન પછીના સમયની છે. તે સમયે હું અચાનક જ નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગયો હતો. જુદી-જુદી સંસ્થાઓમાં નોકરી મળવા છતાં, નોકરી હું કરી શકતો નહોતો. બે ત્રણ દિવસમાં જ છોડીને ચાલી આવતો. જો કે મારે સ્વીકારવું જોઈએ કે મને નોકરી આપનાર સંસ્થાઓ/કંપનીઓ નાની-સુની ન હતી. વળી નોકરી સ્વીકારતી વખતે મારી થોડી વિચિત્ર શરતો પણ રહેતી.(જોકે તે મારી મૂર્ખાઈ જ હતી).. આમ છતાં તેનો સ્વીકાર થતો અને મને ચાન્સ મળતો. પણ હું જ કોણ જાણે કેમ, ત્યાં નોકરી કરી ન શકતો.
આવા સમયે મારી હાલત ધોબીના ગધેડા જેવી હતી. નોકરી મળે તો થતી નહોતી, અને વગર નોકરીએ બેરોજગારીની છાપ સહન થતી નહોતી.(જોકે બેરોજગારીનો પણ એક આનંદ હોય છે. તે ક્યારેક લખીશ પછી
એક દિવસ રાજુલાથી નિકુંજ સાહેબનો ફોન આવ્યો. મને મળવા આવવા કહ્યું. ત્યારે હું તેમને ઓળખતો નહોતો. અરે, રાજુલા ક્યાં આવ્યું તે પણ મને નહોતી.
જામનગરથી રાજૂલા જવાની એક જ ડાયરેક્ટ બસ છે. બાકી તમારે બસ બદલતા બદલતા જવું પડે. હું બસ બદલતા-બદલતા રાજુલા પહોંચ્યા. લગભગ બપોરના ચાર વાગ્યા હતા. આખા રસ્તે નિકુંજ સાહેબનો ફોન ચાલુ જ હતો. હવે કઈ બસ લેવાની, ક્યાંથી ક્યાં જવાનું વગેરે સૂચનાઓ આપતા રહેતા.
રાજુલા પહોંચતા પહોંચતા તો થાકી ગયો. અને ઉનાળો હોવાથી ગરમી પણ તેવી જ હતી. નિકુંજ સાહેબને ત્યારે પહેલીવાર મળ્યો. અમે પહેલીવાર જ મળતા હતા. આમ છતાં જાણે હું તેમનો જૂનો મિત્ર ન હોવ!!તેવી લાગણી અને પ્રેમથી આવકાર્યો. તેવો સ્કૂલના પ્રિન્સિપાલ હોવા છતાં કોઈ અભિમાન નહીં, ખોટો દંભ નહીં.
થોડી વાતો પછી તેમણે કહ્યું કે "ડેમો લેક્ચરની કોઈ જરૂર લાગતી નથી. અમને તમે પસંદ છો. તમે ક્યારથી જોડાય શકશો?"
મે કહ્યુ," ના, હું ડેમો લેકચરસ આપીશ. અને અત્યારે જ આપી શકાય તેમ છે. પહેલા તમે મને થોડો ભણાવતા જોઈ લો, તો સારું. ઘણી વખત પ્રથમ નજરે જેવું દેખાય એવું ન પણ હોય."
આ મારો નિયમ છે. ડેમો લેક્ચર હું આપું જ છું. તો જ સામેવાળા માણસને ખ્યાલ આવે. અને પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ન થાય.
મેં "ડેમો લેક્ચર" લગભગ અડધી કલાકનો આપ્યો. નિકુંજ સાહેબે તો પહેલા જ કહી દીધું હતું કે "ડેમો લેક્ચરની જરૂર નથી". આમ તે માત્ર ઔપચારિકતા જ હતી. આથી પસંદ-નાપસંદનો પ્રશ્ન હતો જ નહિ..
પછી પીન્ટુ સાહેબને મળ્યો. તે આવડા મોટા સંકુલના મુખ્ય ટ્રસ્ટી હોવા છતાં નિરઅભિમાની અને સ્પષ્ટવકતા. થોડીક બીજી વાતો બાદ તેમણે સૂચન કર્યું કે "સાહેબ, રાત પડવા આવી છે. હવે તમે અહીં જ રોકાઇ જાઓ. પાછા જશો તો બસ કે વાહન નહીં મળે. હેરાન થશો. કાલે સવારના ચાલ્યા જજો. હોસ્ટેલમાં બધી સુવિધા છે. એક જુદો રૂમ કાઢી આપીશ."
મારે કબૂલ કરવું જોઇએ કે લાગણી પૂર્વક રોકાઈ જવાનું, અરે, હું હેરાન થઈશ, તેવું આજ સુધી કોઈપણ ઈન્ટરવ્યૂ લેનારે મને કહ્યું નથી. "આવ્યો હશે તેમ જશે..આપણે શું?" ઇન્ટરવ્યૂ લેનાર મોટાભાગનાની આવી માનસિકતા હોય છે. જાણે નોકરીના બદલે ભીખ ન આપતા હોય. જ્યારે પી��્ટુ સાહેબે એક વખત નહિ, બે વખત, અને તે પણ ભાર દઈને રોકાઈ જવાનું કહ્યું. હું તેમની લાગણીને ત્યારે સમજી શકતો હતો. પણ મારાથી રોકાઈ શકાય તેમ નહોતું. જોકે જામનગર પહોંચતા પહોંચતા હું ઘણો હેરાન થયો ,અને છેક સવારના પહોંચ્યો..
ત્યાર પછીના ત્રીજા કે ચોથા દિવસે જામનગરની એક મોટી શાળામાં મને ભૌતિકવિજ્ઞાન ભણાવવાની તક મળી. મેં રાજુલા જવાનું કેન્સલ કર્યું. ત્યારે નિકુંજ સાહેબે ફોનમાં કહેલું "સાહેબ અમારી સ્કૂલના દરવાજા આપની માટે હંમેશા ખુલ્લા છે. ગમે ત્યારે આવવાની ઈચ્છા થાય તો આવી શકો છો."...
જામનગરમાં સારા પગારથી ભણાવવાનું ચાલુ કર્યું. પણ થોડાક દિવસમાં જ કંટાળી ગયો. હું ત્યાં સેટ ન થઈ શક્યો. અને એક દિવસ કોઈ પણ કારણ વગર રાજીનામું આપી દીધું.. મને નિકુંજ સાહેબ યાદ આવ્યા. મેં તેમને ફોન કર્યો. તેમણે તરત જ કહ્યું, "કાલે જ આવી જાઓ. અમારા દરવાજા ખુલ્લા છે."
હું અને મારા મિસિસ થોડાક કપડાં અને પુસ્તકો લઈને ત્યાં પહોંચી ગયા. હોસ્ટેલના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી એક રૂમ અમને કાઢી આપ્યો.
ગુજરાતનો વિકાસ ભલે થયો હોય, પણ આ વિકાસ રાજુલાની આજુબાજુના ગામડાઓમાં નજરે પડતો નથી. આવા વિસ્તારમાં ખાનગી શાળા ચલાવવી અને તેમાં પણ વિજ્ઞાનપ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) ચલાવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અને તેમાં પણ જ્યારે આજુબાજુ બીજી આવી ચાર શાળાઓ હોય, ત્યારે તો તે અશક્ય કામ છે. એક તો ભણવામાં કોઇ સમજે નહીં. ગરીબ પ્રજા એટલે પૈસા આપી શકે નહીં, અને તેમાં વળી વિજ્ઞાનપ્રવાહ લેનારની સંખ્યા ઓછી હોય, અને બીજી ચાર શાળાઓ વચ્ચે પાછી હરીફાઈ થતી હોય. આ સ્થિતિમાં વિજ્ઞાનપ્રવાહ ચલાવવા માટે હિંમત જોઈએ. અને જ્યારે આર્થિક રીતે કોઈ મદદ કરનાર ન હોય. ન તો સરકારી કે ન ખાનગી ડોનેશન આવતું હોય, ત્યારે તો આ કામ વિશેષ હિંમત માંગી લે. આમ બધો આધાર વિદ્યાર્થીઓની ફી પર જ રાખવો પડે. અને તેમાંય વળી મારા જેવા સફેદ હાથીને રાખવો. કારણકે હું ઓછા પગારમાં કામ કરતો નથી. મારો પગાર પ્રીમિયમ હોય છે. આમ વિજ્ઞાન પ્રવાહ ચલાવવા માટે પીન્ટુ સાહેબની હિંમત અને સાહસને સલામ કરવી પડે.
જ્યારે કોઈ વાલી પીન્ટુ સાહેબની એમ કહે કે, "અમે આટલી ફી ભરી શકીશું નહીં." તો પીન્ટુ સાહેબ ફી ઓછી કરવામાં એક સેકન્ડનો પણ વિચાર ન કરે. પાચ - છ વિદ્યાર્થીઓ તો ફી વગરના ભણતા પણ મેં જોયા છે. આટલી ફી તો ભરવી જ પડશે, તેવી કોઈ વાત નહીં. બસ ભણવાની ઇચ્છા છે, તો ભણો. પૈસાની ચિંતા ન કરો.
મેં પહેલા દિવસે તેમની કાર્યપદ્ધતિ જોઈએ અને ટાઈમ ટેબલમાં સુધારો કરી આપવા વિનંતી કરી. મારા લેક્ચર દોઢ કલાકના રાખવાનું, વિકલી ટેસ્ટના આયોજનનું અને પ્રેક્ટિકલના બદલે થીયર પર જ ભાર મૂકવાનો.. વગેરે સુધારાઓ પહેલા જ દિવસે મને કરી આપ્યા. "અમે આમ જ કરતા હતા અને આમ જ કરશી" તેવી કોઈ વાત નહીં. નિકુંજ સાહેબે ત્યારે નિખાલસતાથી કહ્યું હતું, "સાહેબ તમે સૂચનો કરો અને અમે તે ન માનીએ એવું બને? બાકી મને વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં કંઈ ખબર પડતી નથી. તમને જે અનુકૂળ આવે એવું કહેજો. આપણે એવો ફેરફાર કરીશું. બસ રિઝલ્ટની ચિંતા તમારી છે."
આ નિખાલસતા કહેવાય. અને આ જ નેતૃત્વ માટેની લાયકાત કહેવાય. જો રીઝલ્ટ માટે હું જવાબદાર હોઉં તો હું જે સૂચનો કરું તેનો અમલ પણ થવો જોઈએ. મને મારી રીતે કામ કરવા દેવું જોઈએ. હું જે રીતે ભણાવવા માગું તે રીતે ભણાવવા દેવું જોઈએ. જ્યારે બને છે એનાથી ઉલટું. ભણાવવાનું તો વાહિયાત રીતે, તેમાં ફેરફાર કરી ન શકાય.(વાહિયાત પરંપરા યાદ દેવડાવવામાં) અને પછી જ્યારે રીઝલ્ટ આવે ત્યારે જવાબદાર ભણાવનારા. આ તો એવી વાત થઇ કે જે કૂવામાં પાણી જ નથી. તેમાંથી પાણી કાઢો. અને પછી પાણી ન આવ્યું એટલે તમારો વાંક. અને જ્યારે કહીએ કે આ કૂવામાં પાણી નથી. બીજા કૂવામાંથી કાઢ્યે. ત્યારે કહેવામાં આવે કે આપણી તો પરંપરા જ આ રહી છે. આ કુવામાંથી જ પાણી કાઢવું, ભલેને તે સુકો હોય.
મૂળ વાત પર પાછા આવીએ. થોડાક દિવસમાં જ તેમની સાથે સેટ થઈ ગયો. રોજ તેમના સારા વાક્યો હોય જ. "સાહેબ તમારા ભણાવવાની રીત ખૂબ જ સારી છે. મને ગમી"... "હોસ્ટેલમાં આપેલા ક્વાર્ટર્સમાં કોઈ તકલીફતો નથી ને?" ..."મિસિસને ફાવી ગયું કે નહીં?" ....
રોજ તેમની લાગણી મને ભીંજવી નાખે..
પીન્ટુ સાહેબે એક જ અઠવાડિયામાં સ્કૂલમાં પડેલ પુસ્તકો જોઈએ ત્યારે વાંચવા લઈ જવાની છૂટ આપી દીધી. અને સ્કૂલ છૂટયા બાદ પીન્ટુ સાહેબ અચૂક ચા પીવડાવીને બેસાડીને ખબર અંતર પૂછે..
મારે અહીં ઉલ્લેખ કરવો જ જોઈએ કે થોડાક દિવસોમાં જ હું મારા નર્વસનેશ માથી બહાર આવી ગયો.