પટના: આઈસ્ટાઈનના સિદ્ધાંતને પડકારનાર વશિષ્ઠ નારાયણ સિંહે આ જગતમાંથી વિદાય લીધી છે. ખૂબ જ નાની ઉંમરે પ્રતિષ્ઠા મેળવનાર વશિષ્ટ નારાયણનો ભોજપુર જિલ્લાના વસંતપુર ગામના એક ગરીબ પરિવારમાં જન્મ થયો હતો અને તેઓ નાસા સુધી પહોંચી ગયા હતા. પરંતુ યુવાવસ્થામાં જ સીજોફ્રેનિયા નામની બિમારી થઈ ગઈ હતી. તેને લીધે છેલ્લા બે દાયકાથી તેઓ ગુમનામી અવસ્થામાં રહેતા હતા.
માનસિક બિમારીનો સામનો કરી રહ્યા હતા વશિષ્ઠ નારાયણ
ડોક્ટર વશિષ્ટ નારાયણ સિંહ છેલ્લા 44 વર્ષથી સીજોફ્રેનિયા (માનસિક બિમારી)નો સામનો કરી રહ્યા હતા. જ્યારે તેઓ નાસામાં કામ કરતા હતા ત્યારે એક વખત જ્યારે એપોલો અંતરિક્ષ યાન લોંચિંગ પહેલા 31 કોમ્પ્યુટર બંધ થઈ જતા તેમણે પેન અને પેન્સિલથી જ તમામ ગણતરીઓ કરવાની શરૂઆત કરી હતી અને બાદમાં જ્યારે કોમ્પ્યુટર્સ ચાલુ થયા ત્યારે તેમની અને કોમ્પ્યુટર્સની ગણતરી એક સમાન જ આવી હતી.
વશિષ્ઠે નેતરહાટ યુનિવર્સિટીથી મેટ્રીક કર્યું હતું. તે સંયુક્ત બિહારમાં ટોપર હતા. વશિષ્ઠ જ્યારે પટના સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર જોન કેલીની તેમના પર નજર પડી હતી. કેલીએ તેમની પ્રતિભાને ઓળખી અને વર્ષ 1965માં વશિષ્ઠને પોતાની સાથે અમેરિકા લઈ ગયા. વર્ષ 1969માં તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી પીએચડી કરી અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર બન્યા. નાસામાં પણ કામ કર્યું, પણ તેમનું મન ન લાગ્યું અને વર્ષ 1971માં તેઓ ભારત પરત આવ્યા. તેમણે IIT કાનપુર, IIT મુંબઈ અને ISI કોલકાતામાં કામ કર્યું હતું.
લગ્ન બાદ બિમારી અંગે જાણ થઈ
વર્ષ 1973માં વશિષ્ઠ નારાયણના લગ્ન વંદના રાણી સિંહ સાથે થયા હતા. ત્યારે તેમના અસામાન્ય વ્યવહાર અંગે લોકોને જાણ થઈ હતી. નાની નાની વાતોમાં ગુસ્સે થવું, રૂમમાં દિવસભર વાંચતા રહેવું, પૂરી રાત જાગતા રહેવું વગેરે તેમના વ્યવહારમાં સમાવેશ થતો હતો. તેમના આ વ્યવહારને લીધે તેમની પત્નીએ તેમની સાથે છૂટાછેડા લઈ લીધા. વર્ષ 1974માં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો. ત્યારબાદ તેમનો ઈલાજ થયો, પરંતુ ગરીબીને લીધે યોગ્ય ઈલાજ કરી શકાયો નહીં. વર્ષ 1987માં વશિષ્ઠ નારાયણ તેમના ગામ પર આવ્યા હતા.