આજ સુધી જે વિષય ઉપર મે એક પણ શબ્દ નથી લખ્યો, કે નથી બોલ્યો, એવો વિષય છે "દાંપત્યજીવન".. મારે તે વિષય ઉપર ચિંતન કરવાની કે લખવાની જરૂર છે, એવું મને ક્યારેય લાગ્યું નથી.
પણ છેલ્લા બે વર્ષથી મારી આસપાસ જોઉં છું, ત્યારે લાગે છે કે દાંપત્યજીવન વિશે થોડું લખવું જોઈએ.
સૌથી વધુ આનંદ અને સંતોષ આપનારી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઘણા કિસ્સાઓમાં પારાવાર હતાશા અને દુઃખ આપનાર બની ગયેલ, હું જોઈ રહ્યો છું... સબંધનું કબ્રસ્તાન છવાયેલું દેખાય છે. જેમાં ઘણા બધા આનંદ આપનારા મધુર સંબંધો દટાઈ ગયા છે... તેની ઉપર બાવળની કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.
આવું થવાનું કારણ શું? શા માટે મધુર સપનાઓ આંખોમાં રાખી મંગલ પગલા પાડનાર યુગલોના સપનાઓ તૂટી જાય છે? આ બાબત વિશે જ્યારે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણા માટે નરક-સ્વર્ગ કોઈએ બનાવ્યા નથી. તે તો આપણે જાતે જ નિર્માણ કરીએ છીએ... આપણા માટે આપણું સ્વર્ગ બનાવનાર પણ આપણે જ છીએ, અને નર્ક બનાવનાર પણ આપણે જ...
એક લગ્નજીવનને હું છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું. એક અઠવાડિયું પણ પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝઘડા વગર પસાર નથી થયું. ભાઈ ને ગમે તેમ બોલવાની ટેવ. સારું - ખરાબ કંઇ જોવે નહીં. કોઈ જાતની સભ્યતા નહીં. મહિને ઘરનું માંડ માંડ પૂરું થાય. આવી સ્થિતિમાં ઘરમાં થતા લડાઈ-ઝઘડા માટે કોણ જવાબદાર? પત્ની માવતરે ચાલી જાય. વળી પાછા સગાસંબંધીઓ મનાવીને લાવે, વળી થોડા મહિના પછી મારામારી થાય... વળી પત્ની પાછી રિસામણે બેસે.. અને આ ચક્ર છેલ્લા ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું... મૌન પ્રેક્ષક બનીને હું જોઈ રહ્યો છું.
આવા લગ્નજીવનમાં પુરુષવાદી માનસિકતા જવાબદાર છે. પત્નીને ગુલામ સમજવાની... તેને પોતાની માલિકીની સમજવાની માનસિકતા જવાબદાર છે. તેના માન-સન્માનનો વિચાર કર્યા વગર ગમેતેમ બોલવું.. આવું લગ્નજીવન ક્યાં સુધી ચાલવાનું??
સામાન્ય રીતે પારિવારિક સંબંધો, પતિ-પત્ની વચ્ચેના સંબંધો વગેરે માનવીય સંબંધો વિશેની બાબતોમાં હું સલાહ આપવાનું પસંદ કરતો નથી... કારણકે મને પોતાને જ આ બાબતોમાં ખબર પડતી નથી. મારા આ વિષયો નથી. આમ, છતાં મારા કેટલાક ભૂતકાળના વિદ્યાર્થીઓ અને થોડાક મિત્રો-સ્વજનો પોતાની સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે. બધાને એક એવા સ્થાનની જરૂર હોય છે, જ્યાં બે-રોકટોક પોતાના હૃદયનો ભાર ઉતારી શકે... હલકા થઈ શકે.
ગયા વર્ષે મારા એક સ્વજન પોતાની મુશ્કેલી લઈને આવ્યા. પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરુ થયા હતા. પત્ની પતિ ઉપર શંકા રાખતી હતી. બહારગામ જાય તો તેની સાથે જનારા મિત્રો વગેરેને ફોન કરે... હોટલમાં ફોન કરી સ્ટાફ પાસેથી માહિતી લે.. આવી વગર કારણની શંકા કરવાથી મારા સ્વજન મિત્ર ત્રાસી ગયા હતા...
આખરે પૂછ્યું કે "પહેલેથી જ આવું ચાલતું હતું?"
તેઓ થોડા ખચકાયા. થોડીક વાર શાંત રહી પછી જવાબ આપ્યો ના...
તો પછી અચાનક આવું થવાનું કારણ શું?
તે શરમાઈ ગયા. તેની આંખોમાં આવેલ લાચારીને હું જોઈ શકતો હતો. તેના કપાળ ઉપર કરચલી આવી...
તેમણે કહ્યું "લગ્નના એક વર્ષ સુધી બરાબર ચાલ્યું. પણ એક દિવસ મારી કોમ્પ્યુટર ઓપરેટર સાથેનું અફેર, મારી પત્નીની જાણમાં આવી ગયું. તે મારી ભૂલ હતી. પણ મારાથી ભૂલ થઈ ગઈ. તે બાબતનો મોટો હંગામો થયો હતો. મેં માફી પણ માંગી લીધી. હવે હું બદલાઈ ગયો છું. પણ મારી પત્નીને શંકા દૂર થતી નથી."
મેં કહ્યું, "તમે સમસ્યા ઊભી કરી છે.... તમારા વ્યવહારથી આ સમસ્યા ઊભી થઈ છે. હવે તમે ઈચ્છો છો કે માત્ર વાતો કરીને જ આનો ઉકેલ આવી જાય. તમારી પત્ની તમારી ઉપર વિશ્વાસ મૂકે!! આ તો મૂર્ખતા કહેવાય."
જે સમસ્યા વ્યવહારથી ઊભી થઇ હોય, તેનો ઉકેલ પણ વ્યવહારથી જ આવે..
મોટા ભાગના આ જ ઇચ્છતા હોય છે. જાદુઈ લાકડી ફરે અને બધું બદલાઈ જાય...
HJR..